——————————
ફૂલ માન્યા એ જ કંટક થાય છે,
એટલે, ઘરડાંઘરો સર્જાય છે.
ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?
સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.
કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,
મંદીરોમાં માનવી ઉભરાય છે ?
અંશ એનો ક્યાંય મળવાનો નથી,
જે સતત ભીતરેથી બળતો જાય છે.
આભ ફાટયું છે જુઓ સંબંધનું,
એકલે હાથે તો ક્યાં સંધાય છે ?
ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,
માતૃભાષા એટલે બોલાય છે.
સુનીલ શાહ

