તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
*
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.

 

દીવાને રાખવાનાં સૌ પ્રયત્નો છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

 

નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર ?
હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.

 

જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

 

ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

 

જશે, ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

 

સુનિલ શાહ

 

(* તરહી પંક્તિ)

 

About these ads