પ્રેમથી માર્ગ દેખાડનારા મળ્યા,
વ્હાલથી કાનને ખેંચનારા મળ્યા;
મેં ગઝલના ‘ગ’ને ઘૂંટવા માંડ્યો,
અટક્યો જ્યાં, હાથને ઝાલનારા મળ્યા.
આજે ૧૬મી નવેમ્બર ૨૦૧૨….. સ્વરચિત ગઝલોનો મારો બ્લોગ કવિતાનો ‘ક’, આજે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.. પાંચ વર્ષમાં આશરે ૭૦ જેટલી પોસ્ટ મુકાઈ હશે. ગઝલ શીખવાની, સમજવાની શરુઆત છેક ૪૩ વર્ષની ઉંમરે શરૂ થઈ જે પાંચ વર્ષ પછી આજે પણ ચાલુ છે. આ દરમ્યાન સુરતના અને સુરત બહારના કવિમિત્રો વહાલથી મને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. બ્લોગ પર ગઝલ વિશે પોતાનો પ્રતિભાવ આપનારા તમામ કવિમિત્રોનો, ભાવકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ નામ લખવાનું રહી જાય તો હું મને માફ કરી ન શકું તેથી નામોલ્લેખ ટાળું છું. મને પ્રોત્સાહિત કરનારા, સ્નેહથી ભૂલો બતાવી માર્ગદર્શન કરનારા તમામ વડીલો અને મિત્રો હૃદયસ્થ છે અને રહેશે. આવનારા વર્ષોમાં આવું જ પ્રોત્સાહન, માર્ગદર્શન મળતું રહેશે એવી શ્રદ્ધા છે જ. ઋણ સ્વીકાર સાથે સૌનો પુન: આભાર.